સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.
આ પુસ્તક લખીને હું ધન્ય થઈ ગયો છું. આ પહેલાં મેં જુદા જુદા વિષયો ઉપર પંચોતેર જેટલાં પુસ્તકો લખ્યાં છે, પણ જે ધન્યતા આ પુસ્તક લખતાં મેં અનુભવી છે તે બીજું કોઈ પુસ્તક લખતાં અનુભવી નથી. મારે શ્રી જિતેન્દ્ર પટેલનો આભાર માનવો જોઈએ કે તેમણે મને તેમનું લખેલું પુસ્તક “આપણા ક્રાન્તિકારીઓ” ભેટ મોકલ્યું. મેં તે ધ્યાનથી વાંચ્યું. જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મારા હૃદયમાં ક્રાન્તિકારીઓ પ્રત્યે વધુ ને વધુ અહોભાવ થતો ગયો. પછી તો મેં ક્રાન્તિકારીઓનું વિશેષ સાહિત્ય વાંચવાનો પ્રયત્ન કર્યો. મને આઘાત લાગ્યો કે રાષ્ટ્ર માટે શહીદ થનારા આ શહીદોને હવે કોઈ ઓળખતું પણ નથી. નામઠામની પણ ખબર નથી. અરે, તેમના પરિવારમાં કોઈ જીવે છે કે કેમ તેની પણ કોઈ ખોળ-ખબર કરતું નથી. જીવે છે તો કેવી દશામાં જીવે છે. કશી ખબર નહિ. શું આપણે એટલા બધા કૃતઘ્ન થઈ ગયા છીએ કે આપણે આપણા આ શહીદ-સપૂતોને જાણતા પણ નથી. શરમ આવે છે. મને થયું કે આમાંથી નમૂનારૂપ થોડા શહીદોની આછી ઝલક લોકો સમક્ષ મૂકવી જોઈએ. જેથી લોકોને થોડો તો ખ્યાલ આવે. મેં આ અલ્પ પ્રયત્ન કર્યો છે. ક્રાન્તિકારીઓનું બહુ મોટું લિસ્ટ છે. બધા વિશે તો લખી શકાયું નથી પણ જે થોડાક શહીદોની થોડીક વાતો લખાઈ છે તેથી હું પોતે તો ધન્ય થઈ ગયો છું. આશા છે કે વાંચનારા પણ ધન્યતા અનુભવશે.