સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યશીલ રહેલા છે.
ભારતથી બારસો કિ.મી. દૂર સેંકડો કિલોમીટરના સમુદ્રમાં લાઇનબંધ ફેલાયેલા આંદામાન—નિકોબારના ટાપુઓ ભારતનો દક્ષિણી છેડો છે. અંગ્રેજોએ આ ટાપુઓ કબજે કરેલા અને આઝાદી આપ્યા પછી આ ટાપુઓ પણ ભારતને સોંપી દીધેલા. સદ્ભાગ્યે આ ટાપુઓ ઉપર કોઈ રાજા કે નવાબનું રાજ્ય ન હતું. નહિ તો કદાચ તે સ્વતંત્ર થવાનો દાવો કરીને ભારતથી અલગ થઈ શક્યા હોત તો ભારતને પારાવાર નુકસાન થાત. પણ જંગલી આદિવાસીઓની અનેક જાતિઓ નગ્નાવસ્થામાં સદીઓથી અહીં રહેતી હતી અને અત્યારે પણ ઘણીખરી એ જ સ્થિતિમાં રહે છે, તેમનો આ દેશ હતો. આ ટાપુઓનો કબજો કરવો અને પછી તેનો વહીવટ કરવો એ ખૂબ જ અઘરું કાર્ય હતું. રસ્તા, પાણી અને જરૂરી ચીજોની ભયંકર અછતની સાથે અનેક પ્રકારનાં કીટાણુઓથી ઊભરાતા આ રોગોના ઘર જેવા દ્વીપો ઉપર જે પ્રથમ પેઢીએ વસવાટ કર્યો હશે તેની ધીરજ અને સહનશક્તિને ધન્યવાદ જ આપવા ઘટે. આવી અગવડોને કારણે નોકરીમાંથી રાજીનામું આપીને કોઈ અંગ્રેજ ચાલ્યો ગયો હોય તેવું જાણવા મળ્યું નથી.